શ્રી દાન સૂરિજી જ્ઞાનમંદિરમાં ત્રીસેક વરસ જેટલો સ્થિરવાસ રહ્યો . જ્ઞાનમંદિરમાં આટલો લાંબો વખત ભાગ્યે જ બીજા કોઈ મહાત્મા બિરાજીત રહ્યા હશે . અહીંના શ્રદ્ધાવાન્ ટ્રસ્ટીઓ , શાસનસમર્પિત કાર્યકર્તાઓ અને પ્રેમાળ નોકરોએ આત્મીયતા સાથે સેવા કરી હતી .
સ્થિરતા દરમ્યાન નાની મોટી માંદગીઓએ એમને સતત વ્યસ્ત રાખ્યા . દરેક માંદગી વખતે રોગનું વિશ્લેષણ કરે . તે તે દવાઓના ગુણધર્મની જાણકારી મેળવી લે , યાદ રાખે . એલોપેથી , હોમિયોપેથી , બાયોકેમિક , નેચરોપેથી જેવી ઉપચાર પદ્ધતિઓ અનુસાર પોતાનો રોગ શું છે અને એની ચિકિત્સા શું છે એ સમજે . પોતાનાં શરીરમાં ક્યાં શું થયું અને એનો ઈલાજ કેવી રીતે થઈ રહ્યો છે એનું નિરીક્ષણ કરતા રહે . ટ્રીટમેન્ટ બાબતે ડૉક્ટરો સાથે આર્ગ્યુમેન્ટ્સ કરી શકે , કરે . ડૉ . ના જવાબોથી સમાધાન ન થાય એવું પણ બને . આવા વખતે એક નવા ડૉ.ને મળીને અને એનાલિસીસ ઑફ ડિસિઝ ચાલુ રાખતા . આ રીતે ઘણાય ડૉ. સાથે ઓળખાણ થયેલી .
સમુદાયના મહાત્માઓનો પ્રેમ પુષ્કળ મળેલો . વરસે એકાદવાર હોસ્પિટલમાં ભરતી થવું પડે . પોતાનું શિડ્યુલ અસ્તવ્યસ્ત થતું હોય તો થવા દઈનેય મહાત્માઓ હોસ્પિટલમાં પધારે . મુનિવરને પુષ્કળ વાત્સલ્યથી સાચવે . સેવા લેવાનું મુનિવરને ગમતું નહીં . જે જે સમયે જે જે મહાત્માઓએ સેવા કરી એની ભીની આંખે અનુમોદના કરતા . એ મહાત્માઓને હાથ જોડી કહેતા : હું તમને બધાને હેરાન કરું છું . મારા કમજોર શરીરને તમારી સેવાથી ટેકો મળી ગયો . તમારી સેવાનું ઋણ હું ક્યારે ચૂકવીશ ?
એ દરેક મહાત્માઓનો ઉપકાર જીવનભર માટે યાદ રાખ્યો . લાંબા સમયની સ્થિરતા દરમ્યાન કેટલાય શ્રાવક શ્રાવિકાઓએ એમની ભરપૂર સેવા કરી . તો કેટલાય ગૃહસ્થોએ એમની પાસે બેસીને નિયમિતપણે બેસીને ધર્મનું જ્ઞાન મેળવ્યું . એમણે કોઈને બેસવા બોલાવ્યા નહીં . પરંતુ જેમણે જેમણે એમનું તેજ સમજાયું તે સામે ચાલીને આવ્યા . એવા કેટલાય લોકો છે જેમનાં હૈયામાં એમણે જૈનશાસનની સ્થાપના કરી , જેમનાં મનમાં એમણે દેવ ગુરુ ધર્મ પ્રત્યે અપરંપાર શ્રદ્ધા બહુમાન જાગૃત કરી અને એને જાગ્રત્ રાખી . અરે , અમુક ભાગ્યશાળીઓને દીક્ષા માટે પ્રેરિત કર્યા અને એમની દીક્ષા પોતાની પાસે નહીં પરંતુ અન્ય મહાત્માઓ પાસે થાય એવું માર્ગદર્શન પણ આપ્યું અને દીક્ષા બાદ એ મહાત્માઓની ચિંતા પણ રાખતા .
એમની છાપ એવી બની ગઈ હતી કે એ બહુ કડક છે . આમ બનવાનાં ત્રણ કારણ હતાં . એક , એ મનમાં જે આવે તે તુરંત બોલી દેતા , મનના ભાવ છુપાડતા નહીં . બે , એમની ભાષા આકરી અને તીખી હતી , એ તડ અને ફડની પદ્ધતિમાં જ વાત કરતા . ત્રણ , વાતો કરતી વખતે એમનો અવાજ સહજ રીતે ઊંચો થઈ જતો તેથી એવું લાગતું કે ગુસ્સામાં બોલે છે . હકીકત એ હતી કે એમનું મન કૂણું , લાગણીશીલ અને કરુણામય હતું . એમને ઓછું મળનારાઓને લાગતું હશે કે એ કડક હતા . એમને નિયમિત પણે મળનારાઓ જાણતા હતા કે એમની બોલવાની પદ્ધતિ ભલે કઠોર દેખાતી હોય પરંતુ એમની મમતાળુ વૃત્તિ અગાધ સાગર જેવી હતી .
શ્રી દાન સૂરિજી જ્ઞાનમંદિરનો ત્રીજો માળ , એમના થકી મુખરિત રહ્યો . ત્રીજા માળે પરઠવવાની અને વાડાની વ્યવસ્થા હતી . રોડનો અવાજ ઓછો રહે . હવાઉજાસની કમી નહીં . આ માળે એમણે આશરે ૨.૫૮,૦૦૦ કલાકથી વધુ સમય સુધી રત્નત્રયીની ઉજ્જ્વળ સાધના કરી , આશરે ૮૬,૪૦૦ કલાકથી વધુ સમય સ્વાધ્યાયમાં વીતાવ્યો , આશરે ૬૪, ૮૦૦ કલાકની યોગનિદ્રા લીધી . આ સ્થળે બેહિસાબ આત્મનિમજ્જન કર્યું , અપરિસીમ અધ્યવસાયશુદ્ધિ સાધી , મોક્ષ તત્ત્વનાં નિગૂઢ ચિંતનમાં ડૂબ્યા , વૈરાગ્યભાવનો આગળનો , વધુ આગળનો રસ્તો ખોજ્યો અને ખૂંદ્યો . અધિગમ સમ્યક્ત્વની નવીનવી ઊંચાઈઓ સર કરીને ચારિત્રને વધુમાં વધુ જ્ઞાન ગર્ભિત બનાવ્યું . પોતાના તારણહાર ગુરુદેવની કર્મભૂમિને એમણ પોતાની સાધનાભૂમિ બનાવી દીધી . ( ક્રમશઃ )
Leave a Reply