આત્મવિશ્વાસની કમી ન હોવી જોઈએ . પ્રવૃત્તિ કરવાની શક્તિ હોય , અનુકૂળતા હોય , ઈચ્છા હોય પરંતુ આત્મવિશ્વાસ ઓછો હોય ત્યારે પ્રવૃત્તિ સુધી પહોંચી શકાતું નથી . તમારો હાથ ગુરુના હાથમાં હોવો જોઈએ . ગુરુ તમારા આત્મવિશ્વાસનો હિસાબ રાખે છે . વધારે પડતો આત્મવિશ્વાસ સારો નથી . ગુરુ આત્મવિશ્વાસને એ રીતે ઉછળવા દેતા નથી . કમજોર વિશ્વાસ સારો નથી . ગુરુ આત્મવિશ્વાસને એ રીતે તૂટવા દેતા નથી . ગુરુ વિનાનો ધર્માત્મા આત્મવિશ્વાસનું વ્યવસ્થાપન કરવામાં નિષ્ફળ નીવડે છે . ગુરુને માથે રાખનારા ધર્માત્માના આત્મવિશ્વાસનું વ્યવસ્થાપન ગુરુ દ્વારા થાય છે . એમાંંથી તૈયાર થાય છે અર્જુન જેવા હોનહાર વિદ્યાર્થી .
અષાઢ સુદ તેરસની રાતે રતિલાલને ઊંઘ નહોતી આવી. સતત વિચારો ચાલતા રહ્યા હતા. આ ઉતાવળ હતી ? ખરેખર ? કે પછી લક્ષ્ય માટેનો ઉપેક્ષાભાવ હતો ? મન માની રહ્યું ન હતું . કોઈ સારું કામ કરવું એ એક વાત છે. કામ હોય તે કરી લેવાય . કામ અધૂરેથી છોડવાનું પણ થાય , ક્યારેક કામ કરતાં ન આવડે એવું પણ બને . કામ માથે લઈએ તો જ કામ થાય . આ વાત એની જગ્યાએ બરાબર હતી . પરંતુ દીક્ષા એ કોઈ કામ નથી . દીક્ષા એક નિર્ણય છે . દીક્ષા એક ભગીરથ પુરુષાર્થ છે , અંદર અને બહાર ચાલનારો પવિત્ર પુરુષાર્થ . દીક્ષા માટે મનનું તૈયાર હોવું જરૂરી છે અને દીક્ષા માટે પાત્રતા હોવી પણ આવશ્યક છે . ગુરુ ભગવંતને લાગતું હતું કે એનામાં પાત્રતા છે . ખુદ એને પોતાનામાં વિશ્વાસ ઓછો હતો . એવું પણ હોય કે તે થોડોક સમય રાહ જોવા માંગતો હતો. ગુરુ ભગવંતે અષાઢ સુદ ચૌદસનું મુહૂર્ત ફરમાવી દીધું હતું . પરંતુ તેને લાગતું હતું કે આટલા જલ્દી દીક્ષા ન લેવાય. તે અંદરથી માનતો હતો કે મારે દીક્ષા લેવી જ છે. બીજી તરફ પ્રશ્ન હતો કે મારું મન હજી વૈરાગી રંગ થી પૂરેપૂરું રંગાયું છે કે કેમ ? એટલે દીક્ષા હમણાં લઈ શકાય નહીં આ એક જ વિચાર ચાલતો રહ્યો રાતભર . નક્કી કર્યું કે ” સવારે ગુરૂ ભગવંત પાસે જઈને ના જ પાડી દેવી છે . “
જો કે સંકોચ ઘણો થઈ રહ્યો હતો . ના કહી દેવાનું સહેલું ન હતું પરંતુ છૂટકો ન હતો. પૂરેપૂરા આદરપૂર્વક ના કહી દેવાનું પાક્કું જ હતું . તકેદારી એ લેવાની હતી કે ગુરુને નારાજ કરનારા શબ્દો બોલી દેવાય નહીં . સવારે એણે જહાંપનાહની પોળના ઉપાશ્રયમાં પગ મૂક્યો . હજી તો એ કંઈ બોલે તે પૂર્વે જ ગુરુ ભગવંતે બોલવાનું શરૂ કરી દીધું હતું . એ વચ્ચે બોલવાની જગ્યા શોધતો રહ્યો . પણ ગુરુ ભગવંતે એની વાત શરૂ જ ન થવા દીધી . ગુરુએ તેને દેવવંદનની ક્રિયા કરવાનું કહ્યું અને એને એ ક્રિયા કરવી જ ન હતી . ગુરુએ તેને વિધિમાં જોડાવા કહ્યું અને તેને એ વિધિથી દૂર રહેવું હતું . બે-અઢી કલાકની લાંબી ક્રિયામાં તેને જોડાઈ જવું પડ્યું . જેની માટે એ તૈયાર ન હતો એ પ્રવૃત્તિમાં તેનું જોડાણ થઈ ગયું . જેનાથી એ દૂર ભાગતો હતો એ તત્ત્વ જ સામે ચાલીને તેને ભેટી પડ્યું. તેની દીક્ષા થઈ ગઈ .
દીક્ષાધર્મના ઇતિહાસમાં કદાચ , આ પહેલી દીક્ષા એવી હતી જેમાં દીક્ષાર્થી દીક્ષા લેવાની ના પાડવા આવ્યો હતો અને ગુરુએ એની ના સાંભળી જ નહીં . ભૂલ થઈ હતી એવું પહેલી નજરે લાગે પરંતુ ભૂલ થઈ ન હતી. બલ્કે ઈતિહાસ સર્જાયો હતો. એ દીક્ષા થઈ તેને લીધે એક અજોડ તપસાધનાનું સોનેરી પ્રકરણ શરૂ થયું હતું . વિ.સં. ૧૯૯૦ની એ સાલ હતી . અઢાર વરસની યુવાવયે રતિલાલની દીક્ષા થઈ . એ દીક્ષાની ના પાડવા આવેલો અને એને દીક્ષા લેવી જ પડી , શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાના હાથે .
પ્રશ્ન એ થાય કે શું આ રીતે દીક્ષા આપી શકાય ? જવાબમાં સામો પ્રશ્ન છે કે તમારામાં દીક્ષા લેવાની શક્તિ હોય , ભાવના હોય તો પછી દીક્ષા લેવામાં વિલંબ કરી શકાય ખરો ? દીક્ષા ન લેવાનાં હજાર કારણો મળી આવશે એટલે શું દીક્ષા લેવાની જ નહીં ? તમારામાં દીક્ષા લેવાની શક્તિ હોય , ભાવના હોય અને પાત્રતા હોય ત્યારે જ ગુરુ તમને દીક્ષા આપે છે . જેનામાં દીક્ષા લેવાની શક્તિ ન હોય , ભાવના ન હોય અને પાત્રતા ન હોય એણે દીક્ષા લેવાય જ નહીં અને એને દીક્ષા અપાય પણ નહીં આ એક સત્ય હકીકત છે . એની જેમ બીજી સત્ય હકીકત એ છે કે જેનામાં દીક્ષા લેવાની શક્તિ હોય , ભાવના હોય અને પાત્રતા હોય તેણે દીક્ષા લેવાની બાબતમાં વિલંબ કરવો જોઈએ નહીં . શ્રી દાન સૂરીશ્વરજી મહારાજા અને શ્રી પ્રેમવિજયજી મહારાજાએ રતિલાલમાં દીક્ષા લેવાની શક્તિ પણ જોઈ હતી , ભાવના પણ જોઈ હતી અને પાત્રતા પણ જોઈ હતી . એમને ખબર હતી કે પરિવાર દીક્ષા માટે હા હા કરતો રહેેેશે પણ દીક્ષા થવા દેશે નહીં . ના કહીએ તો દલીલબાજી થાય એટલે પરિવાર ના પાડતો નહીં . પૂછવામાં આવે તો વાત ટાળી દેતો . આવું જ ચાલતું રહેતું . આમાં એક રસ્તો બચ્યો હતો . અચાનક દીક્ષા . રતિલાલ પરિવારના ભરોસે દીક્ષાની રાહ જોતો રહે એવું હવે ન ચાલે . એક તરફ રતિલાલ પર કડક થવાનું હતુું . બીજી તરફ એમના પરિવારને ઝટકો આપવાની જરૂર હતી કે એક ભદ્રપરિણામી આત્માને ક્યાર સુધી રોકી રાખવાનો ? પરિવાર જૈૈન શાસનને સમર્પિત હતો , ઘરમાં અન્ય ચાર સંંતાનો પણ હતા . થોડી નારાજગી બાદ તેઓ નવી પરિસ્થિતિને સ્વીકારી જ લેવાના હતા .
ગુરુએ લીધેલ નિર્ણયને લીધે બન્યું એવું કે ઈતિહાસનાં ૨૫૦૦ વરસોમાં જે જોવા મળ્યું નહોતું તે બધું આ દીક્ષા બાદ મુનિશ્રી રાજવિજયજી મ.ની તપસાધના રૂપે સકલ શ્રી સંઘને જોવા મળ્યું હતું . એ દીક્ષા થઈ ન હોત તો તપસાધનાનો નવોનક્કોર ઈતિહાસ લખાયો જ ન હોત . જોકે દીક્ષાના પ્રથમ દિવસથી જ નૂતનદીક્ષિતને એક એવી કમજોરી પરેશાન કરી રહી હતી જે તપમાં અવરોધ બનતી હોય છે . ( ક્રમશઃ)
Leave a Reply