પરિવર્તનની યાત્રામાં રાજુ અને ટીનુ સાથે ન હોય એવી પરિસ્થિતિમાં સુરેશભાઈ વધારે અળખામણા થાય નહીં . પણ વાત બે બાળકોની હતી . બેય બાળકો સ્કૂલમાં શાર્પ સ્ટુડન્ટ હતા . દરવર્ષે પોતપોતાના ક્લાસનાં મોનિટર બનતા . સ્કૂલના મેધાવી છાત્રોની સૂચીમાં બેયનું નામ ટોપટેનમાં રહેતું . શિક્ષકોના લાડકા વિદ્યાર્થી હતા . સહાધ્યાયીઓના બેસ્ટ ફ્રેન્ડ્ઝ પણ ખરા . એ વખતે એસએસસીની એક્ઝામ સૌથી મોટી ગણાય . બેય જણા એસએસસી વખતે સ્કૂલનાં નામનો ડંકો વગાડશે એવી અપેક્ષા બહુ પહેલેથી રાખવામાં આવી રહી હતી . આવા હોનહાર વિદ્યાર્થીઓ સ્કૂલ છોડી દેશે એવી કલ્પના જ ન થાય . પરંતુ બેય વિદ્યાર્થીઓએ સ્કૂલ જવાનું છોડી દીધું . સ્કૂલના શિક્ષક શિક્ષિકાઓમાં આઘાત , આશ્ચર્યની લાગણી ફેલાઈ હતી .
બાળકોને જૈનધર્મ ગમે છે તેનો વાંધો નથી પરંતુ એસએસસી પાસ કર્યા પૂર્વે સ્કૂલ છોડાય જ નહીં એવો જયાબેનનો મત હતો . રાજુ નવમીમાં હતો , ટીનુ સાતમીમાં . એ ગુજરાતી સ્કૂલમાં નાઈન્થ સ્ટાન્ડર્ડ કે સેવન્થ સ્ટાન્ડર્ડ જેવા અંગરેજી શબ્દો ચલણી થયા નહોતા . એસેસસીને દસમી કહેતા .
શું કામ બાળકો સ્કૂલ છોડી રહ્યા હતા ?
સુરેશભાઈએ પોતાના આત્મા માટે દીક્ષા લેવાનું વિચારેલું . આ બે બાળકો વિના પણ એ દીક્ષા લઈ જ શકતા હતા . દીક્ષા લેવા માટે એમને બાળકોની કશી જ જરૂર નહોતી . બાળકોની દીક્ષાનો વિચાર એમને મિત્રો થકી મળ્યો હતો . વાચના દરમ્યાન બાળકો જે પ્રશ્નો પૂછતા એ જોયા બાદ , બે વાત સમજમાં આવી હતી . એક વાત એ કે બાળકો ધર્મમાં ઘણો વિકાસ સાધી શકે એમ છે . બીજી વાત એ કે બાળકો દીક્ષા સુધી પહોંચે તો એ ભવિષ્ય માટે ઘણું લાભકારી બની શકે છે . પૂર્વે એકલા જ દીક્ષા લેવાની ભાવના રાખનાર સુરેશભાઈ હવે બાળકોને દીક્ષા સુધી પહોંચાડવા તૈયાર થઈ ગયા .
સંસ્કરણના બે માર્ગ છે : મનમાં નવા વિચારોનું સિંચન કરો અને જીવનને નવું વાતાવરણ આપો . વિચારોનું સિંચન મહેન્દ્રભાઈ દ્વારા થઈ રહ્યું હતું અને નવું વાતાવરણ મળે તે માટે ઘરથી દૂર રહેવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી .
બાળકોનાં માનસ પર લાંબું કામ થયું હતું . બાળકોને જૈન ધર્મ અનુસારનું મુનિ જીવન , શ્રાવક જીવન અને ગૃહસ્થ જીવન શું છે એનો સરળ બોધ આપવામાં આવ્યો હતો . મોક્ષનું જે સ્વરૂપવર્ણન સુરેશભાઈને આવર્જિત કરી ગયું તે જ સ્વરૂપવર્ણન બાળકો સમક્ષ થયું હતું . બાળકો પિતાની જેમ જ આવર્જિત થયા હતા . આ મોક્ષને પામવાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ મુનિજીવનમાં થઈ શકે છે એવી સમજણ બાળકોમાં ઉંમર અનુસાર જાગી હતી . આ તબક્કા સુધી પહોંચવા માટે બાળકોએ સારો એવો સમય લીધો હતો . એકવાર આટલું ઘડતર થયું એ પછી જ સ્કૂલે ન જવાનો નિર્ણય લેવાયો હતો . આ નિર્ણય બાળકો પર ઠોકી બેસાડેલો એવું પણ નહોતુું . બાળકોની ઈચ્છા અને રુચિને ચકાસી લીધા બાદ આ નિર્ણય લીધો હતો .
આના વિરોધમાં જયાબેને , અનિલભાઈએ સુરેશભાઈને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી . સુરેશભાઈએ એમને ખાસ દાદ આપી નહીં . આખરે હરિદાસભાઈ , વિનોદભાઈના બંગલે આવ્યા હતા . બાપદીકરા વચ્ચે લાંબો સંવાદ થયો હતો . સુરેશભાઈ શું કામ દીક્ષા લેવા માંગે છે અને બે બાળકોને શીદ દીક્ષા અપાવવા માંગે છે ? આ બાબતે ઘણી વાતો થઈ . હરિદાસભાઈએ સુરેશભાઈને ઘણું સમજાવ્યા . સુરેશભાઈ ટસના મસ ન થયા . છેવટે હરિદાસભાઈએ બાળકોને દીક્ષા ન આપવી જોઈએ એવી જીદ્દ પકડી . સંયમપૂર્વક રકઝક ચાલી . છેલ્લે હરિદાસભાઈને લાગ્યું કે ‘ સુરેશ માનવા તૈયાર જ નથી . ‘ તો એમણે નિરાશાના આવેશમાં બંગલાની દીવાલ પર જોરથી માથું અફાળ્યું . એમના કપાળની ચામડી ફાટી , લોહીની ધાર નીકળી આવી . દીવાલ પર એ લોહીનો ધબ્બો પડી ગયો . હરિદાસભાઈના નાક પર , આઈબ્રો પર અને ચશ્મા પર લોહીના રેલા ઉતરી આવ્યા . સુરેશભાઈ આ ક્ષણે પીગળી જાય એવું બની શકતું હતું . એ અંદરથી હચમચી પણ ગયા પરંતુ એ પોતાની વાતમાંથી ડગ્યા નહીં . જિંદગીમાં પહેલીવાર આવું બન્યું હશે કે દીકરાની સામે પિતાએ માથું પછાડીને લોહી કાઢ્યું હોય . પારાવાર માનસિક સંતાપ સાથે હરિદાસભાઈ કેમ્પના એ બંગલેથી કપાળનું લોહી લૂંછ્યા વગર નીકળી ગયા . આવું કશુંક બનશે એવો અંદાજ હતો એટલે સુરેશભાઈએ આ બેઠકથી બાળકોને દૂર રાખ્યા હતા . જોકે , પોતાની નજર સમક્ષ પોતાના પિતાને માથું પટકીને લોહી કાઢતા જોયા બાદ એમનો વૈરાગ્ય વિચલિત થઈ શકતો હતો , પણ થયો નહોતો . પિતાને થયેલી પીડા બદલ ઘણો જ અફસોસ થયો . અલબત્ , વૈરાગ્ય સાથે બાંધછોડ કરવાનો વિચાર તો ન જ બન્યો . ( ક્રમશઃ )
Leave a Reply