પિતા હરિદાસભાઈ , પત્ની જયાબેન , નાનો ભાઈ અનિલ – આ કોઈને વૈરાગ્યની થિયરી પલ્લે પડી રહી નહોતી . એમને મોક્ષનું અસ્તિત્વ છે કે નહીં એની સાથે કોઈ લેવાદેવા નહોતા . એમને સુરેશભાઈ બદલાઈ ગયા છે એ જોવાનું ગમતું નહોતું . એમને જૂનાવાળા એ સુરેશભાઈ પાછા જોઈતા હતા જે પોતાના જમાના કરતાં ઘણા એડવાન્સ રહેતા હતા , જેમની ચશ્માની ફ્રેમ રિમલેસ હતી , જે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પ્રિન્ટને પોતાના હાથેથી પેઈન્ટ કરીને મલ્ટિકલર બનાવી શકતા , જેમનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ કોઈ પ્રોફેસરની જેમ દણદણિત હતું , જે પોતાના હાથે બનાવેલા માલપુંવા ત્રણ સંતાનોને ટેસથી ખવડાવતા , જે ઊંચા ડેમ પરથી ઊંડા પાણીમાં ધુબાકા મારી સ્વિમિંગ કરતા , જે લગનના રિસેપ્શનમાં આઈસક્રીમનું કાઉન્ટર એટલા માટે સંભાળતા કેમ કે એમને આઈસક્રીમ બહુ ભાવતો હતો , જે પૂના મોટી પોસ્ટ ઓફિસની પાસે મળતી તીખીદાટ ભેળ ખાવાનું ચૂકતા નહીં , જે પૂનાના મશહૂર થિયેટર્સમાં આવનારી હૉલીવૂડ અને બોલીવૂડ મૂવીઝ જોવાના શોખીન હતા , જે જેમ્સ બોન્ડની મૂવી ડોક્ટર નૉ(૧૯૬૨) નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને શોલે મૂવી(૧૯૭૪) ના પ્રારંભે ચાલતી આરડી બર્મનની વિખ્યાત મેલડીના ઉત્કૃષ્ટ ચાહક હતા . સુરેશભાઈનું એ જૂનું વર્ઝન ગાયબ થઈ ગયું હતું . સુરેશભાઈનું એક નવું જ વર્ઝન જોવા મળી રહ્યું હતું જે રિયલ હતું પણ ફેમિલી માટે એક્સેપ્ટેબલ નહોતું . આ સુરેશભાઈ રોજ સવારે ગોડીજી , ભવાની પેઠ અથવા બુધવાર પેઠના દેરાસરે પૂજા કરવા જતા . હાથ પર કેસરના ઓઘરાળા લઈને એ પાછા ફરતા . આ સુરેશભાઈ જૈન મુનિભગવંતોની સાથે ખાસ્સો સમય વિતાવી દેતા . શ્રી મિત્રાનંદવિજયજી મ. , શ્રી જગચ્ચન્દ્રવિજયજી મ . , શ્રી ભદ્રગુપ્તવિજયજી મ. જેવા મહાત્માઓના સંગે સમય વીતાવીને એ રાજી રહેતા . આ સુરેશભાઈ ખાવાપીવાની બાબતે નિર્લેપ જેવા થઈ ગયા હતા , એકાસણું બીયાસણું અને આંબેલ કરવા લાગ્યા હતા . જૂના સુરેશભાઈ ઘરમાં મોંઘી અંગ્રેજી બુક લાવતા , નવા સુરેશભાઈ ઘરે સુવર્ણઅક્ષરીય કલ્પસૂત્રની મોંઘી પોથી ખરીદી લાવ્યા હતા .
ભાયાણી પરિવાર સુરેશભાઈના આ અવતારને સ્વીકારી શકતો નહોતો અને બદલી શકતો નહોતો . સુરેશભાઈએ પોતાનું ટાર્ગેટ પાકું રાખીને દોડવાનું શરૂ કરી દીધું હતું .
પૂનામાં રહેનારા મહેન્દ્રભાઈ મહેતા સાથે જોડાયા બાદ , સુરેશભાઈનું ભાવવિશ્વ વધુ ને વધુ ધર્મમય બનતું ગયું . મહેન્દ્રભાઈ પૂ.આ.શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ચુસ્ત અનુયાયી તેમ જ પૂ. મુનિરાજ શ્રી ચંદ્રગુપ્ત વિજયજી મ. ના વિદ્યાર્થી . ખુદ પ્રજ્ઞાવાન્ અને પરગજુ . જિજ્ઞાસુઓને ધાર્મિક અભ્યાસ કરાવવા માટે એ પૂરતો સમય નિકાળે . એમની વાણીમાં એવી તાકાત કે સાંભળનારના વિચારો અવશ્ય બદલાય . આસ્તિકતા અને આધ્યાત્મિકતાનું એનાલિસીસ અજબગજબ રીતે કરે . કલ્લાકો સુધી બોલે તોયે નવાનવા મુદ્દાઓ આવતા જ રહે . સાધુસાધ્વીજી ભગવંતો પણ એમની પાસે અભ્યાસ કરવા પધારતા . સુરેશભાઈના બાળકો મહેન્દ્રભાઈ સમક્ષ શ્રોતા તરીકે બેસવા લાગ્યા એ દિવસથી મહેન્દ્રભાઈએ નાસ્તિકને આસ્તિક બનાવે અને ધર્મરહિતને ધર્માનુરાગી બનાવે એ રીતે તત્ત્વનિરૂપણ કરવાનું શરૂ કર્યું . મહેન્દ્રભાઈની વાચનાઓ નિર્ધારિત કાર્યક્રમની જેમ નિયત સમયે કે નિયત જગ્યાએ થતી એવું નહોતું . કોઈપણ એક કલ્યાણમિત્રનાં ઘરે સીમિત સંખ્યામાં જિજ્ઞાસુ ભેગા થતા , કોઈવાર રાતે વાચના થાય , કોઈવાર બપોરે વાચના થાય . અઠવાડિયે એકથી વધુ વાર વાચના થાય . એ વાચનાઓ સાંભળતી વખતે સુરેશભાઈ કેવળ પોતાના આત્માની ચિંતામાં ડૂબી જાય , પોતાના બાળકો વાચના સાંભળે છે એ તરફ એમનું ધ્યાન ઓછું રહેતું . જે ધર્મ મનેં બાળપણમાં મળવો જોઈતો હતો તે ધર્મ મને છેક લગન કર્યા બાદ અને ત્રણ સંતાનોના બાપ બની ગયા બાદ મળ્યો છે , હવે આ ધારામાં અધિક નિમજ્જન કરવું છે એવો એમનો ભાવ .
મહેન્દ્રભાઈની વાચના બાળકો સાંભળે એ પછી એમાંથી જાણવા મળેલી વાતોના આધારે બાળકો સુરેશભાઈ સાથે તત્ત્વચર્ચા કરે . પપ્પા સાથે સમય વીતે છે એની ખુશાલી બાળકોને રહેતી અને બાળકોની મમ્મીને રહેતી .
તત્ત્વચિંતને પોતાનું કામ બરોબર કર્યું . સુરેશભાઈના બાળકોએ પણ પોતાની મતિઅનુસાર જૈનત્વની દિશામાં વિચારવાનું ચાલુ કરી દીધું . ( ક્રમશઃ)
૧૨ . મહેન્દ્રભાઈની વાચનાઓ
Previous Post
૧૧ . સુરેશભાઈનું વૈરાગ્ય તત્ત્વ
Next Post
Leave a Reply