એક તરફ પરિવાર ત્રણ ભાગ્યશાળીઓની શોધખોળ કરી રહ્યો હતો , બીજી તરફ અફવાઓ બની રહી હતી . પોલીસ અમુક ભાઈના ઘેર તપાસ કરવા આવી અથવા ગુંડાઓને તપાસનું કામ સોંપાયું છે અથવા અમુક ભાઈના ઘરે જઈને ૪૦૦ લોકોએ તોફાન મચાવ્યું , એક પછી એક ખોટી સ્ટોરી બની રહી હતી . ત્રીજી તરફ સુરેશભાઈ , બે બાળકોને લઈને જુન્નરથી નીકળ્યા અને લાંબો પ્રવાસ ખેડીને ગુજરાતના કાવી તીર્થમાં પહોંચ્યા . અહીં પણ થોડો દિવસ રોકાયા અને પછી અમદાવાદ પહોંચ્યા .
અમદાવાદમાં શાંતિવન છે , લક્ષ્મીવર્ધક સોસાયટી છે ત્યાં પહોંચ્યા . અહીં જૈન ઉપાશ્રયમાં બિરાજમાન હતા એક મહામહિમ સૂરિભગવંત . એમણે પારખુ નજરે સુરેશભાઈને જોયા , બે બાળકોને જોયા . સુરેશભાઈ સૂરિભગવંતના ખોળામાં માથું મૂકીને રડી પડ્યા , ભીંજાયેલા સાદે એમણે સૂરિભગવંતને કહ્યું : આ બાળકોને આપનાં શરણમાં લાવ્યો છું , આપે આમને સંભાળવાના છે .
બેય બાળકોએ જિંદગીમાં પહેલીવાર આ સૂરિભગવંતને જોયા , જોતાવેંત જ પ્રેમ થઈ ગયો . સૂરિભગવંતે ખાસ વાત કરી નહીં પણ બેય બાળકોનાં માથે અસીમ વાત્સલ્યપૂર્વક હાથ મૂકી આશીર્વાદ આપ્યા . એમણે સુરેશભાઈને અન્ય મુમુક્ષુઓની સાથે રહેવાનું કહી દીધું . સૂરિભગવંતનાં સાંનિધ્યમાં પચાસથી વધુ સાધુભગવંત હતા , દશથી વધારે મુમુક્ષુ હતા . જે દીક્ષા લેવાની ભાવના રાખે છે પરંતુ જેની દીક્ષા લેવાની પાત્રતા હજી પુરવાર થઈ નથી એવા પુણ્યવાનને મુમુક્ષુ કહેવાય છે . એક કટોકટીમાંથી પાર ઉતરીને અહીં સુધી પહોંચેલા ત્રણેય પૂનાનિવાસીઓ મુમુક્ષુ રૂપે સૂરિભગવંતની છત્રછાયામાં ગોઠવાઈ ગયા . એ સૂરિભગવંતનું નામ હતું : પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા . થોડા દિવસ બાદ લક્ષ્મીવર્ધક સોસાયટીથી કાલુપુર વિહાર થયો , રોકાણ થયું શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં .
જયાબેન થોડા દિવસ પહેલાં આ સૂરિભગવંતને મળવા આવી જ ગયા હતા . એ વખતે એમણે અને સાથે આવેલ સ્વજને સૂરિભગવંતને ધમકી જેવી ભાષામાં કહેલું કે મારા પતિ અને બાળકોને દીક્ષા આપવાની નથી .
એ વખતે સૂરિભગવંતે જવાબ આપ્યો હતો કે એ લોકો મારી પાસે આવશે તો હું તમને તરત જ બોલાવીશ . અત્યારે આવી ચિંતા કરવાની જરૂર નથી . એકવાર એ લોકોને અહીં આવી જવા દો .
હવે સુરેશભાઈ અને બાળકો અમદાવાદ આવી ગયા છે એવા સમાચાર સૂરિભગવંતના નિર્દેશ અનુસાર પૂના મોકલવામાં આવ્યા , જયાબેનને અમદાવાદ આવવાનું કહેણ પણ મોકલાયું . જયાબેન તરત જ અમદાવાદ આવી ગયા . પતિને અને પુત્રોને સંસારી વેશભૂષામાં જોઈને એ રાજી થયા . સૂરિભગવંતે એક માતાને વિશ્વાસ આપેલો તે એમણે સાર્થક કરી બતાવ્યો .
જયાબેનની દરેક ચિંતાઓ સૂરિ ભગવંતે સાંભળી . અને વચન આપતા હોય એ રીતે કહ્યું કે – તમારા બાળકોને હમણાં દીક્ષા આપવાની કોઈ જ વાત નથી . એ ભણવા માટે થોડો વખત અહીં રહેશે . એમનામાં દીક્ષા લેવાની પાત્રતા દેખાશે તો એમને આગળ વધારીશું . એમ લાગશે કે એ લોકોની પાત્રતા છે અને એમને ખરેખર દીક્ષા આપી શકાય એમ છે તો હું તમને પૂછીશ . તમારી રજા મળશે તો જ દીક્ષા આપશું . તમારી રજા વિના દીક્ષા નહીં થાય એ પાક્કું છે . અમને એમ લાગશે કે આમને દીક્ષા આપવા જેવી નથી તો આમને પાછા તમારી પાસે મોકલી આપશું .
જયાબેનને આ જવાબે ઘણી રાહત આપી દીધી . એ તો કોઈપણ હિસાબે બેય બાળકોને પાછા લઈ જવા જ આવ્યા હતા . પણ સૂરિભગવંતની જાદુઈ વ્યક્તિમત્તાએ એવું કામ કર્યું કે તે પોતાના બાળકો સૂરિભગવંતના હાથમાં સોંપીને પૂના પાછા જતા રહ્યા . સુરેશભાઈ અને એમનાં બે બાળકો નિર્વિઘ્ને સૂરિભગવંતની નિશ્રામાં રહી શકે એવું વાતાવરણ બની ગયું . સૂરિભગવંતે આપેલ આશ્વાસનથી પતિને , પત્નીને અને પુત્રોને પોતપોતાની જગ્યાએ એકસરખી હિંમત મળી ગઈ . ( ક્રમશઃ)
૧૭ . સૂરિભગવંતે આશ્વાસન આપ્યું
Previous Post
૧૬ . શોધખોળ
Next Post
Leave a Reply