Press ESC to close

ભૂલ દેખાય છે ત્યારે

ભૂલ થાય છે ત્યારે

વાંકદેખા માણસો વગોવાય છે . પારકી પંચાત કદી સારી મનાતી નથી . ચૌદસની તિથિ વિશેષ આરાધના માટે હોય છે . પરંતુ ચોવટ કરનારા લોકોને ચૌદસિયા ગણવામાં આવે છે . બીજાનાં જીવનમાં સદ્ ગુણો હોય છે તે જોઈને અનુમોદના કરવા જેટલી સજ્જનતા કેળવી લેવી . બીજાના દોષ  જોવા નહીં . બીજાની ભૂલ  શોધવી નહીં . આ સામાન્ય સમજણ છે . આંખ મળી છે તો નજર સામે જે આવશે તે બધું દેખાશે . સારું દેખાશે , અનુમોદના કરીશું . ઠીક છે .

પરંતુ બૂરું દેખાશે , ફરિયાદ કરશું : એવું કરવાનું નથી . બીજાની ભૂલ દેખાય છે ત્યારે સારા વિચાર આવી શકે છે . બીજી વ્યક્તિ ભૂલ કરી રહી છે તે નજર સામે દેખાય છે . તમે તેને કશું કહી શકવાના નથી . તે તમારું કાંઈ સાંભળે તેમ નથી . તમારો એની સાથે એ કક્ષાનો સંબંધ જ નથી . એ ભૂલ કરે છે અને એને નુકશાન થવાનું છે તે તમે જોઈ રહ્યા છો . તમે મનમાં વિચાર કરજો , આ ભૂલ મારે કરવાની નથી , આ ભૂલને લીધે તે નુકશાની વેઠવાનો છે , મારે તેવી નુકશાની વેઠવી નથી .

ભૂલ કરનાર માણસ ખરાબ છે તેમ ના વિચારશો . તમે એમ વિચારજો કે આ માણસ ઘણો સારો છે . બિચારો આ ભૂલ કરીને હેરાન થવાનો છે . તમારે વિચારવું હોય તો એમ પણ વિચારજો કે આના જેવો સારો માણસ આમ ભૂલ કરે છે તો મારે મારી બાબતમાં સાવધાન બનવું જોઈએ . સારો માણસ જો ભૂલ કરી શકે છે , સમજદાર વ્યક્તિના હાથે જો ભૂલો થઈ શકે છે તો મારે ખાસ જાગતાં રહેવું પડશે .

ભૂલ કરનારે ભૂલ કરી તેમાં તેની સમજફેર ક્યાં થઈ તે શોધી કાઢજો . ભૂલનાં મૂળ ક્યાં પહોંચે છે તે શોધજો . કેવળ ભૂલ જોવી તે સહેલું છે . ભૂલનાં મૂળ સુધી પહોંચવું અઘરું છે . ભૂલ કર્યા પહેલા તે માણસ સારો અને સુખી હતો . ભૂલ કર્યા બાદ તે માણસ હેરાન થઈ રહ્યો છે તે જોઈને કરુણા અનુભવજો . ભૂલ કરનારો પોતાનાં મનમાં પોતાની ભૂલનો પસ્તાવો રાખતો હોય તે સંભવિત છે . તમે એ ભૂલને યાદ રાખીને એને ખરાબ માન્યા કરશો અને પેલો ભૂલ કરનારો પસ્તાવો કરીને ખરાબીમાંથી બહાર આવી ગયો હશે .

 
એક સંતની કથા છે . એ શહેરમાં આવ્યા . તેમનાં મકાનની સામે વેશ્યાનું ઘર હતું . સંત વેશ્યાને તુચ્છકારથી જોતા . એને વગોવતા . એક દિવસ સંત મરી ગયા . ચિત્રગુપ્ત પાસે પહોંચ્યા . જાણવા મળ્યું કે તેમની નરકગતિ નક્કી થઈ છે . સંત છંછેડાયા . પૂછે : મેં આટલી બધી સાધના કરી અને મારી નરકગતિ ? ચિત્રગુપ્તે કહ્યું : તમે બધી રીતે સારા હતા . તમે એક જ જગ્યાએ થાપ ખાધી . તમે વેશ્યાની ખરાબીનો જ વિચાર કરતા રહ્યા . તમે એની માટે એલફેલ બોલતા રહ્યા . આ પાપે નરકગતિ આપી છે . સંત પૂછે છે : હું જો નરકમાં છું તો વેશ્યા કંઈ ગતિમાં છે ? ચિત્રગુપ્ત કહે છે , વેશ્યા સ્વર્ગમાં છે . સંત પૂછે છે : આવો અન્યાય ? આવા હીનકર્મીને સ્વર્ગ ? ચિત્રગુપ્ત કહે છે : એ વેશ્યાની નજર તમારી સાધના પર હતી , એ હંમેશા તમારી પવિત્રતાનો જ વિચાર કરતી હતી . એ પોતાના ઘરાકોની સમક્ષ તમારી પ્રશંસા કરતી હતી . એણે સારું જોયું . એને સદ્ ગતિ મળી . તમે ખરાબ જોયું તમને દુર્ગતિ મળી .

 
તમે બીજાને ખરાબ માની લેશો તો તમારી દોષદૃષ્ટિને પ્રોત્સાહન મળશે . બીજો માણસ ભૂલ કરે છે તે દેખાય તો મનને સાચવીને સમજાવજો . જે માણસની જવાબદારી તમારી નથી તેની ભૂલની ચર્ચા તમે કરશો નહીં . જે માણસને તમે ઓળખતા નથી તેની ભૂલની પંચાત તમે કરતા નહીં . ભૂલ દેખાય ત્યારે પોતાની જાતને સાવચેત બનાવજો . આ ભૂલ મારે કરવી નથી , આ ભૂલથી મારે દૂર રહેવું છે , બીજાની ભૂલમાંથી બોધપાઠ મેળવજો . ફાવી જશો . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *